Wednesday, August 22, 2012

જો ભગવાન-ડૉ. આઈ. કે. વિજળીવાળા

જો ભગવાનના ઘરમાં રેફ્રિજરેટર હોત તો ચોક્કસ એની ઉપર એ આપણા ફોટાવાળી ફ્રેમ રાખત !
જો ભગવાન પાકીટ રાખતો હોત તો ખાતરીપૂર્વક કહું છું કે એમાં આપણો નાનકડો ફોટો એ જરૂર રાખત !

દરેક વસંતઋતુએ એ આપણને હજારો ફૂલોનો ગુલદસ્તો શું કામ મોકલે છે ?

રોજ સવારે એ સૂરજને મોકલીને રાતનો અંધકાર શું કામ દૂર કરે છે ?
અમૃતધારા જેવી વર્ષાને દર વરસે એ ધરતી પર શું કામ મોકલે છે ?
જ્યારે જ્યારે આપણે સાચા દિલથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ સાંભળે જ છે. શું કામ ?
અને એણે બનાવેલા આટલા મોટા વિશ્વમાં એ ગમે ત્યાં રહી શક્યો હોત પણ રહેવાની જગ્યા તરીકે એણે આપણું હૃદય જ શું કામ પસંદ કર્યું ? શું કામ ?!

અરે, એટલા માટે કે એ આપણો દીવાનો છે. આપણી પાછળ પાગલ છે. આપણી સાથે તાલ મિલાવવા માટે એ અધીરો છે.

અને આમેય ભગવાને આપણને બનાવ્યા ત્યારે એવું વચન તો નહોતું જ આપ્યું કે
આપણને દુ:ખ વગરના દિવસો જ આપશે !
એવું તો નહોતું કહ્યું કે
હાસ્ય આપશે પણ ઉદાસી નહીં આપે
કે
રાત વગરના જ દિવસો આપશે.

પણ એવું વચન જરૂર આપ્યું હતું કે
જો દુ:ખ આપશે તો એ સહન કરવાની શક્તિ તેમજ હિંમત આપશે,
જો ઉદાસીનતા આપશે તો ખુશી પણ આપશે જ,
નિરાશાનાં આંસુ આપશે તો આશાનું સ્મિત પણ જોડે આપશે.
અને
અંધકારભરી રાત્રિ આપશે તો તારા, ચંદ્ર અને નહીં તો દીવડાનો પ્રકાશ જરૂરથી આપશે જ આપશે !

(મૂળ શીર્ષક : If God had a refrigerator)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.