Monday, August 6, 2012

વ્યસનની ફૅશન – મનહર શુક્લ


[ રમૂજી લેખો દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ આપતા, થોડા વર્ષો અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તક ‘વ્યંગ રંગ...છોડો વ્યસન સંગ’માંથી સાભાર.]

અમે અગાઉ શરદી-ઉધરસ તથા અસ્થિભંગ અંગે લેખો લખેલા ત્યારે વાચકોએ કહેલું કે અનુભવમાંથી પસાર થયા સિવાય આવું લખવું શક્ય નથી. એટલે ત્યાર પછીના જે લેખોમાં હરસ-મસા તથા સિઝેરિયન ડિલિવરી વિશે હતું તેને જુદા મૂકી દીધા. અત્યારે વ્યસન વિશે લખવાનું આવ્યું ત્યારે હિંમત એટલા માટે કરી છે કે આપાણી સાથે અન્ય મહાનુભાવો પણ (પોતપોતાનાં) વ્યસન વિશે લખી રહ્યા છે. હવે વાચકો માત્ર અમને જ પૂછવા આવે એવી શક્યતા ઓછી કહેવાય. જોકે હવે આપણાં વ્યસન બાબત લોકો જાણે તો પણ ફેર પડે તેમ નથી.
અમારાં લગ્ન જે તારીખે થયેલાં, 31મી મે, એ વખતે નહીં પણ પછીનાં વરસોમાં એ તારીખ તમાકુ નિષેધ દિન જાહેર થયો. ત્યારથી અમે એની એનીવર્સરી ઊજવવાનું બંધ કર્યું છે. તમાકુ શબ્દ જ હલાકુ જેવો લડાયક જણાય છે. તત્વ પરથી તમાકુ શબ્દ આવ્યો છે. મોંમાં મૂકો તો તમતમાટી બોલાવી દે. નાનપણમાં દાદાની પાનપેટીમાંથી કાતરેલી સોપારીની કરચ ખાતી વખતે તમાકુની કટકી આવી ગયેલી. તે વખતે તો ઉંમર એટલી નાની કે તમાકુ નામની કોઈ ચીજ છે તેની ખબર જ નહીં. પરસેવો થયો. ચક્કર આવ્યા અને આજે 31મી મેને દિવસે પણ….


વ્યસન એટલે શું ? વ્યસ્ત રાખે તે વ્યસન. જેનું વ્યસન હોય તે ના મળે તો ત્રસ્ત રાખે તે વ્યસન. જેની તલબ લાગે તે વ્યસન. જે બીજાને મન નકામું છે પણ આપણે મન કીમતી છે તે વ્યસન. યોગનાં કે બેસવાનાં આસનો જેવું અગત્યનું એટલે વ્યસન. ગુલામીનું આસન એટલે વ્યસન. આ વ્યસનની બબાલ માત્ર માણસને જ હોય છે. કોઈ પશુપક્ષી કે જીવજંતુને વ્યસન હોવાનું જાણ્યું નથી. એટલે પશુ થવા વ્યસન કરી શકાય છે. પશુઓ માણસ ના થઈ શકે પરંતુ માણસ તો પશુ બની શકે ને ? અર્થશાસ્ત્રના શરૂઆતનાં પ્રકરણોમાં એક વાક્ય આવે છે ‘ટેવને પોસ્યા કરવાથી તે વ્યસન બને છે.’ અમે કહીએ છીએ કે દેખાદેખીથી વ્યસનનો વ્યાપ વધે છે ત્યારે વ્યસનની ફૅશન આકાર લે છે.

ખાય તેનો ખૂણો પીએ તેનું ઘર,
સૂંઘે તેનાં લુગડાં એ ત્રણે બરોબર.

 
તમાકુ અંગેની વાત છે. તમાકુનો રસ ગળે ઉતાર્યા પછી એનાં ફોતરાં કાઢીને ક્યાં નાખવા ? વ્યસની હોય તે ઘરના ખૂણા ગોતે અને ત્યાં ફોતરાં થૂંકે એટલે જે તમાકુ ખાતા હોય એના ખૂણા – એટલે એના ઘરના ખૂણા ફોતરાંથી ભરી મૂકે. પીએ તેનું ઘર એટલે ધૂમ્રપાન કરતો હોય એના ઘરના ખૂણા. દરેક ખંડમાંથી ધુમાડાની વાસ આવે. સૌથી નાના ઓરડામાંથી તો ખાસ અને જે તપખીર સૂંઘતા હોય – સડાકા લેતા હોય એમનાં કપડાં જોવા. અંગૂઠા અને આંગળીઓ કપડાંથી સાફ થતી હોય છે. આમ, વ્યસન કરનારના મોં ઉપરાંત ઘરનો ખૂણો, વાતાવરણ અને કપડાં ત્રણેય વ્યસન ધરાવતા થઈ જાય છે. હિન્દી ફિલ્મોમાં કનૈયાલાલને પાન ખાવાની આદત હતી. ઓમપ્રકાશનેય ખરી. આ કલાકારોને ડાયલોગ બોલતાં સાચવવું પડતું. મોંનું પાન બહાર ધકેલાઈ જાય નહીં તેનું તેમને ટેન્શન રહે. સામા કલાકારને પોતાના ચહેરા પર પાનનો રસ છંટાઈ જાય નહીં તેનું ટેન્શન રહે અને સાઉન્ડ કેમેરા એ બધા આર્ટિસ્ટોને તો ખરું જ. આવા કલાકારોને બીજા કલાકારો સાથેના કલોઝ આપતાં દશ્યો પછી ના મળે. નસીબ એમના.

ચાને હવે વ્યસન નથી ગણાતું. જરૂરિયાત ગણાઈ છે. બીડી બાબત એમ કહીએ છીએ કે બીડી અને જીવને બાળતાં બચાવો. ત્યારે બીડીનો ભોગી કહે છે બીડી એ સ્વર્ગની સીડી છે. અમે કહીએ કે ત્યાં સ્વર્ગમાં જઈને બધાંને હેરાન કરવા કરતાં અહીં જ આ વ્યસનનો ત્યાગ કરોને. બીડી સ્વર્ગની સીડી નથી નરકની નિસરણી છે. સીડી કે નિસરણીને ઊભી ગોઠવો તો તે ઉપર લઈ જાય અથવા નીચે પણ ઉતારે, પણ જો એને આડી ગોઠવો તો ઠાઠડી થાય. ઠાઠથી તમને આ જગતમાંથી વિદાય આપે.

વ્યસન વધવાનું એક કારણ આપણી રેલવે અને બસ સર્વિસો પણ છે. તે લોકો એવી સૂચના લખે છે કે ચાલુ વાહને ધૂમ્રપાન કરવું નહીં. એટલે એમ કે આ વાહનમાંથી ઊતરો એટલે તમારે ધુમાડા કાઢવાના. અમારી સાથે ધુમાડાની સ્પર્ધા નહીં કરવાની. ગોરપદું કરાવતા એક મહારાજને અમે ધુમાડા કાઢતા જોઈ ગયેલા.

‘અરે મહારાજ ! આ શું ?’
‘ધૂમ્રપાન ચાલે છે.’
‘અરે, પણ તમે ? અગરબત્તીનો ધુમાડો લેનારા આજે સિગારેટના ધુમાડે ?’
‘ધૂમ્રપાનં મહાદાનમ્ ગોટે ગોટે ગોદાનમ – વત્સ, ધૂમ્રપાન એ મહાદાન છે. એક એક ગોટે એક એક ગાયનું દાન કર્યાનું પુણ્ય મળે છે….’ અમારા દોસ્ત મુકેશને ત્યાં કથા હતી. ત્યાં આ મહારાજ પધારેલા. ચોખા લાવો, ઘી લાવો, અગરબત્તી આપો… આમ કરતાં કરતાં કહે ‘તુલસી લાવો’
મુકેશ કહે : ‘મહારાજ ! તુલસી નથી.’
‘વાંધો નહીં, માણેકચંદ લાવો, ચાલશે.’ મહારાજ વદ્યા. એક વાર રેલવેમાં એક યુવાન સિગારેટ પીતો હતો. એ જોઈ શિક્ષક જેવા લાગતા વડીલે કહ્યું : ‘સિગારેટને બે છેડા હોય છે. એક છેડે અગ્નિ હોય છે અને બીજે છેડે મુરખ.’
પેલો કહે : ‘પણ એની કોમેન્ટ દોઢ ડાહ્યા કરતા હોય છે….’


અમારા મિત્ર સાવલિયા સાથે બે-ત્રણ વાર એમના ગામડે જવાનું થયેલું. એક વાર તેનો મિત્ર હરજી મળેલો. તે વખતે ખેતરમાં કામ કરતાં તે ચલમ પીતો હતો. અમે તેને વ્યસનની અસરો વિશે સમજાવેલું અને તેણે ચલમ ખંખેરી નાખેલી. આપણને આનંદ થયો કે ગામડાના માણસોની સમજણ શહેરીજનો કરતાં સારી છે. બીજી વખત ફરીથી ત્યાં જવાનું બનેલું. આ વખતે હરજી ચોરા પર બેઠેલો અને હુક્કો ગડગડાવે. આપણને આઘાત લાગ્યો કે ચલમ છોડનારો હોકે આવી ગયો ?
‘અલ્યા હરજી ! આ શું કરે છે ?’
‘સાહેબ, તમે જ કહેલું ને કે વ્યસન તો છેટું એટલું સારું !’ વરસો વીતી ગયાં. કદાચ આજે હરજીનું વ્યસન રીમોટ કંટ્રોલથી ચાલતું હશે. જેટલું દૂર એટલું સારું.


તમાકુ ખાનારને ફાઈબ્રોસીસ થાય છે. એટલે મોં પૂરું ખૂલી શકતું નથી. હાસ્યના કાર્યક્રમમાં આવા શ્રોતાઓ મોટેથી હસી નથી શકતાં. માત્ર ખી….ખી…. કરીને સંતોષ માની શકે. બીજા શ્રોતાઓ કરતાં તેઓ માત્ર ચોથા ભાગનું જ હસી શકે. વધુ ટ્રેજેડી તો એ છે કે ભયંકર કંટાળાભર્યા કાર્યક્રમમાં બોર થતા હોવા છતાં એ લોકો બગાસાં ખાઈ શકતાં નથી. આની ખબર કાર્યક્રમ આપનારને આવતી ના હોવાથી તેઓ પણ ખેંચે રાખે છે. સાંભળ્યું છે કે ચરસનું વ્યસન એ હરસના રોગ કરતાંયે ખરાબ છે. જેમ માણસ ઉપગ્રહ છોડી શકે છે પણ પૂર્વગ્રહ છોડી શકતો નથી, એ જ રીતે તે વતન છોડી શકે છે પણ વ્યસન છોડી શકતો નથી. વ્યસનની આ ફૅશન પર રેશન આવે તો સારું.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.