Monday, December 10, 2012

નિભ્રરન્તિની આખરી ક્ષણ, જે જીવનના ઉદ્વેગમાંથી મુક્ત કરે -ભૂપતભાઇ વડોદરિયા

મનુષ્યના જીવનમાં નિભ્રરન્તિની એક ક્ષણ આવે છે. મારાં મનોચક્ષુ સમક્ષ બે છબી ખડી થાય છે. એક છબી એક જૈન સજ્જનની છે અને બીજી છે એક મહાન સ્વપ્નદ્રષ્ટાની.
જૈન સદગૃસ્થને જીવનમાં સુખ જ હતું, પૈસા ટકાની ક્યારેય ચિંતા ન હતી. એ માનતા કે હવે બેઉ દીકરા કમાતાધમાતા થયા છે તો મારે લીલાલહેર કરવા સિવાય કશું બાકી રહેતું નથી. પણ પત્ની ગુજરી ગઇ અને બન્ને વહુઓને સસરાનો સ્વભાવ અનુકૂળ ના લાગ્યો. ગૃહસ્થ એક નાની ખોલીમાં રહેવા જતા રહ્યા. એક દિવસ મને મળવા આવ્યા. કહેવા લાગ્યા કે, ‘તબિયત ખૂબ કથળી ગઇ છે. ખોલીમાં એકલો રહું છું. ડાયાબિટીસ છે, પણ ખાવાનો શોખ એવો ને એવો જ છે. વીશીનું ભાણું ભાવતું નથી. એક મિત્રની સાથે સમેત શિખરની જાત્રાએ જઇ રહ્યો છું, તમને મળવા આવ્યો છું, છેલ્લીવાર! ત્યાં જ દેહ પડી જાય એવું ઈશ્ચર પાસે માંગું છું. જિંદગી ખૂબ જોઇ, ખૂબ માણી, ઘણા ઉધામા કર્યા. કોઇને ચાહ્યા, કોઇની સાથે લડ્યા, પણ હવે મન શાંતિ ઝંખે છે. હવે નહીં મળું, છેલ્લી સલામ!’ એમની વાત સાંભળીને થયું કે ભખભખિયો માણસ, પેટમાં પાપ નહીં એટલે આવું બધું કહેતો હશે. બાકી એમ કોઇને માગ્યું મોત થોડું મળે છે? એ ગૃહસ્થ જાત્રાએ ગયા. બે એક મહિના વિત્યા હશે. એમના એક સંબંધી મને મળ્યા. મેં એમને પૂછયું કે પેલા સજ્જન જાત્રાએથી પાછા આવી ગયા? પેલા ભાઇએ નવાઇથી કહ્યું, ‘તમને કશી ખબર નથી? એ તો પાછા આવી ગયા પછી બે દિવસ આરામ કર્યો. ત્રીજા દિવસે નાહીને કપડાં પહેર્યા. એમને અચાનક છાતીમાં દુખાવો ઊપડયો એટલે મેં કહ્યું તમે સૂઇ રહો, હું દાક્તરને બોલાવી લાવું. તે કહે, ‘એમનું પણ કામ નથી. ઇશ્ચર એમને સુખી રાખે. માત્ર એક કામ કરો, મને નવકાર મંત્ર સંભળાવો!’ મેં મંત્ર સંભળાવ્યો અને એમણે આંખો ઢાળી દીધી. એ વખતે એમના ચહેરા પર મેં અવર્ણનીય શાંતિ જોઇ. હું કોઇ સારા જીવનાં દર્શન કરી રહ્યો હોઉં એમ મને લાગ્યું.’ 


શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદની કીર્તિ ઇ.સ. ૧૯૬૫ પછી વિશ્ચવ્યાપી બની. ‘ઇસ્કોન’ ના સ્થાપક તરીકે સૌ તેમને ઓળખે છે. અમેરિકા ગયા ત્યારે ભાગ્યે જ કોઇએ માન્યું હશે કે કૃષ્ણભક્તોનો વિશ્ચવ્યાપી સંઘ રચવાનું તેમનું સપનું સાકાર થશે. સ્વામીનું મૂળ નામ અભયચરણ. ૧૮૯૬ની ૧ સપ્ટેમ્બરે કલકત્તામાં જન્મ્યા હતા. એ વેપાર ધંધો કરતા હતા અને ૬૦ વરસની ઉંમરે એવા ઝંઝાવાતમાં સપડાયા કે શિરે મોટી ખોટ આવી પડી. પુત્રોને વેપાર ધંધા સોંપી દીધા. તેમની એકમાત્ર ઇચ્છા શ્રીમદ્ ભાગવતને અંગ્રેજીમાં ઉતારવાની હતી. લગભગ સિત્તેર વર્ષની ઉંમરે તદ્દન નિર્ધન અને બીમાર એવા માંડ અમેરિકા પહોંચ્યા. તે અગાઉ સ્વામીએ વૈરાગ્યનો અને એકલતાનો જે ભાવ અનુભવ્યો તે એમણે બંગાળીમાં એક કાવ્યરૂપે વ્યક્ત કર્યો છે. તેમાં પ્રારંભની કડીઓ આત્મલક્ષી છે. તેમાં મનુષ્યના હ્ય્દયનું, નિભ્રરન્તિની આખરી ક્ષણનું પ્રતિબિંબ છે, તે જુઓ.
‘વૃંદાવન ધામમાં હું એકાકી બેઠો છું. આ વૈરાગ્યભાવમાં મને ઘણા સાક્ષાત્કાર થાય છે. મારી પાસે મારાં પત્ની, પુત્રો, પુત્રીઓ, પૌત્રો, દોહિત્રો સર્વ છે, પણ પૈસો નથી, તેથી તે સર્વ નિષ્ફળ મહિમા છે. કૃષ્ણે ભૌતિક પ્રકૃતિનું નગ્ન સ્વરૂપ મને બતાવ્યું છે. એમણે મને બક્ષેલી શક્તિથી એ સર્વમાં આજે મને રસ રહ્યો નથી. કૃષ્ણે કહ્યું છે, ‘યસ્માહં અનુગૃહણામિ હરીષ્યે તદ્ધનંશનૈઃ’ (જેના પર હું કૃપા કરું છું તેનું ધન હું ધીમે રહી લઉં છું) પરમ કૃપાળુની આ કૃપા હું કેવી રીતે સમજી શકવાનો હતો? પત્ની, સગાં, મિત્રો, ભાઇઓ વગેરેએ મને નિર્ધન નિહાળી ત્યજી દીધો છે તે દુઃખદ છે, પણ હું એકલો બેસીને એ વાત પર હસું છું. આ માયાસંસારમાં હું ખરેખર કોને ચાહું છું? મારાં વત્સલ માતાપિતા ક્યાં ચાલ્યાં ગયાં? જે મારા સાચા આત્મીયજનો હતા તે વડીલો ક્યાં છે? કહો, તેમના સમાચાર મને કોણ આપશે?’ ‘એ કૌટુંબિક જીવનમાંથી તો માત્ર નામોની યાદી જ શેષ રહી છે.’ બસ, પછી સ્વામી અમેરિકા પહોંચે છે અને જીવનનું સાચું અને અંતિમ કાર્ય કરે છે. એમને વિશ્ચવ્યાપી કીર્તિ મળી, પણ માણસને કીર્તિ મળે કે ન મળે, તેણે આવું કામ શોધવું જ રહ્યું, જે તેને જિંદગીની બાહ્ય જટિલતાઓ અને ઉદ્વેગમાંથી મુક્ત કરી દે. પછી એને દુઃખ ભલે આવે પણ જીવન સરળ અને શાંત લાગે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.