Monday, December 24, 2012

શિક્ષણ મૂલ્યોનું જતન – માલિની પાઠક



વીસ વર્ષ પહેલાં ખાનગી શાળામાં શિક્ષિકા હતી. શાળાના ટ્રસ્ટીનો પુત્ર નાપાસ થયો. પરિણામ જાહેર થાય તે પહેલાં અમે ટ્રસ્ટીને ખુશ કરવા તેને પાસ કરી દીધો. શિક્ષિકા કમલાએ તેના વિષયમાં નાપાસ કર્યો. ટ્રસ્ટી નારાજ થઈ ગયા. તેને નોકરીમાંથી છૂટી કરે તે પહેલાં કમલાએ રાજીનામું આપી કહ્યું : ‘સર, હું ગુજરાત વિદ્યાપીઠ શાળામાં ભણી છું. ગાંધી મૂલ્યનું જતન કરતાં મારા ગુરુજનોએ સમર્પિત ભાવે શિક્ષણમાં ટકાવારી કરતાં સમાજને ટેકારૂપ બનવા અમારામાં સંસ્કારમૂલ્યોનું સિંચન કર્યું છે. મને ખબર છે કે નોકરી જશે પરંતુ શાળાજીવનની વિદાય વખતે ગાંધી વિદ્યાપીઠનો દરવાજો છોડતાં પહેલાં મૂલ્ય જાળવવાની આસ્થા માટે ગુરુજનોએ ભીની આંખે અમને આશિષ આપેલી તે ભાવનાનો હ્રાસ કેવી રીતે કરી શકું ?
બીજે દિવસે ટ્રસ્ટી શાળામાં આવ્યા. ભીની આંખે બોલ્યા : ‘બહેન, કમલા, પુત્ર મોહમાં હું શિક્ષણમૂલ્ય ભૂલી ગયો. તારા ગુરુજનોના શિક્ષણ આચરણના પ્રભાવથી વિદ્યાર્થીને સારો માણસ બનાવવાના તારા પ્રયત્નોથી મારા પુત્રે મને કાલે કહેલું : ‘પપ્પા, કમલા મેમે પોતાની દીકરીને પણ નાપાસ કરી છે. અમારે મન શિક્ષણનું મૂલ્યાંકન સમાજ ઉપયોગી બનતા જવાનું છે. તમે કમલા મેમનું રાજીનામું લીધું તેનું મને દુઃખ છે. પ્રાયશ્ચિત કરવા હું આજે ઉપવાસ કરીશ. તમારા વતી તેમની માફી માગીશ.’ તેમણે કમલાનું રાજીનામું નામંજૂર કર્યું. ઘટના વળાંક બની શિક્ષણમૂલ્યો જાળવવા કર્મશીલ પ્રેરણા આપ્યા કરે છે. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.