Friday, December 28, 2012

જીવન છે ત્યાં સુધી કામ અને કામ છે ત્યાં સુધી જીવન – સુરેશ દલાલ



મને પહેલેથી જ પુસ્તકો બહુ ગમે. ગુજરાતી પુસ્તકો ખરીદતો અને અંગ્રેજી પુસ્તકો મને પોસાય તેટલાં જ ખરીદી શકતો. ગુજરાતી પુસ્તકોનું છાપકામ અને બાહ્ય દેખાવ મને ગમતાં નહીં. પુસ્તક જોતાં જ તે રૂપકડું અને આકર્ષક દેખાવું જોઈએ. આંતરિક સૌંદર્યની સાથે બાહ્ય સૌંદર્યને અવગણી શકાય નહીં. એટલે પુસ્તકનો બાહ્ય દેખાવ એવો હોવો જોઈએ કે કોઈને પણ પુસ્તક હાથમાં લેવાની ઈચ્છા થાય અને એક વાર પુસ્તક હાથમાં આવ્યા બાદ જો અંદરનું કન્ટેન્ટ સારું હશે તો વાંચવાની ઈચ્છા કોઈ પણ વ્યક્તિ ખાળી નહીં શકે. એટલે ઈમેજ પબ્લિકેશનની સ્થાપના કરી જાતે જ અંદરથી અને બહારથી રૂપકડાં ગુજરાતી પુસ્તકો તૈયાર કરવાનું શરૂ કર્યું.
છેલ્લા બે દિવસથી મારી તબિયત સારી નહોતી. ડોક્ટરે ચેકઅપ કરીને કહ્યું કે તમારા મસલ્સ નબળા પડી ગયા છે એટલે તમને તકલીફો રહેશે. એટલે કમરનો દુઃખાવો એટલો હતો કે ઘરેથી ઓફિસ જવાની હિંમત એકઠી કરવી પડે. હૃદયમાં પેસ મેકર બેસાડ્યું છે. પગમાં સ્ટેન્ટ છે. અને છતાંય દર વરસે ત્રણ-ચાર પુસ્તકોના પ્રોજેક્ટ પર કામ કરવાનો ટાર્ગેટ છે. હું માનું છું કે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી જીવન છે ને જીવન છે ત્યાં સુધી કામ રહેવું જોઈએ. હું હકારાત્મક અભિગમ સાથે જીવું છું. રડતી વ્યક્તિઓ મને ગમતી નથી અને રડવાનું મને ગમતું નથી. રોજ સવારે સૂરજ ઊગે ત્યારે એ આંખમાંય ઊગે. તેને હા કહીને આવકારું. રોજિંદા જીવનમાં જે માણસ આનંદ મેળવી શકે તે જ આનંદથી જીવી શકે. પ્રાઈમ મિનિસ્ટરથી લઈને પ્યુન સુધી દરેક માણસે રુટિન કામ તો કરવાનાં જ હોય છે. એટલે હું દરરોજનાં મારાં કામને માણું છું. બીમારી આવે તેને પણ સ્વીકારું કારણ તમે કોઈના વતી જીવી નથી શકતા. એટલે મારી પીડા કોઈ સમજી શકે પણ લઈ ન શકે એટલે મારે તેને સ્વીકારવી જ પડે. જીવનમાં સંઘર્ષ ત્યારે થાય જ્યારે વાસ્તવિકતાને નહીં. જો વાસ્તવિકતાને સ્વીકારી લો તો સંઘર્ષ રહેતો જ નથી. મારે કોઈની સાથે વાંધાવચકા પડે નહીં. અને મને ક્યારેય કોઈ બાબતનું ખોટું લાગતું નથી. હવે આટલાં વરસે જો મેચ્યોરિટી ન આવે તો શું કામની. અને મેચ્યોર્ડ માણસને ક્યારેય ખોટા વાંધાવચકા પડતા નથી. મારું મન વેસ્ટ પેપર બાસ્કેટ નથી, તે બગીચો છે. જેમાં નવા વિચારોનાં ફૂલો જ ઊગે છે. અને તેનો આનંદ જ લઉં છું. આપણે મોટે ભાગે ન્યાયને યાદ નથી કરતા અને અન્યાયને યાદ કરીએ છીએ. હું આવો કચરો સાચવતો નથી એટલે વાગોળવા જેવું પણ કશું હોતું નથી. મારા જીવનમાં જે સમજણ છે તે જે. કૃષ્ણમૂર્તિની છે. તેમની મારા પર ગાઢ અસર છે. અને શ્રદ્ધા છે તે નાથાભાઈ જોષીમાં છે. હું ક્યારેય કોઈ જ ચિંતા કરતો નથી. મેં એક કવિતા લખેલી…..
પડશે તેવા દેવાશે, ચિંતા કોર્યું મન, પછીથી એક ઝાટકે દેવાશે.
પેસ મેકર મુકાવ્યું તેને મેં આમ કહીને સ્વીકાર્યું કે તે મને મદદ કરવા આવ્યું છે. માણસ મરણ કરતાં તેના ભયને કારણે મરે છે. આપણા સાહિત્યને અંગ્રેજીમાં ન લઈ શક્યાનો અફસોસ છે. આપણી પાસે કેટલુંક સારું સાહિત્ય છે. પણ સારા અનુવાદકો ન હોવાને કારણે આ કામ થઈ શકતું નથી. સુરેશ જોષીના નિબંધો આંતરરાષ્ટ્રીય સાહિત્યની કક્ષાના છે. આવાં કેટલાંક પુસ્તકો ન કરી શક્યાનો અફસોસ રહેશે જ. (સુરેશ દલાલની મોટે ભાગે આ અંતિમ મુલાકાત દિવ્યાશા દોશીએ લીધી હતી જે ‘નવનીત સમર્પણ’માંથી અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવી છે.)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.