Thursday, April 25, 2013

બુદ્ધિશાળી શિયાળ



પોતાની ગુફા અને સાથીઓથી અલગ પડી ગયેલું એક શિયાળ ગીચ ઝાડીમાંથી રસ્તો શોધવા મથામણ કરી રહ્યું હતું. જંગલ એટલું બધું ગાઢ હતું કે તેમાંથી પસાર થવામાં મુશ્કેલી પડે. એવામાં બરાબર તેની સામે જ એક સિંહ આવી ગયો. શિયાળ પાસે ભાગવાનો કોઈ રસ્તો જ નહોતો એટલે ફફડી ઊઠ્યું. સિંહ એક છલાંગમાં જ તેને ઝડપી લે એટલું જ અંતર હતું. તેથી શિયાળ ભાગી શકે એવી સ્થિતિમાં જ નહોતું. છતાં તેણે ઝડપથી યુક્તિ વિચારી લીધી અને સિંહ છલાંગ મારે એ પહેલા મોટેથી તાડૂક્યું : ‘મારા માર્ગમાં આડે આવવાની તેં હિંમત કેવી રીતે કરી ? શું તને ભગવાનનો ડર નથી લાગતો ?’ આવા આકસ્મિક હુમલાથી સિંહ તો ડઘાઈ જ ગયો. તેને આ રીતે કોઈ સવાલ કરે એવી તો તેને કલ્પના પણ નહોતી. ક્ષણિક આઘાતમાંથી બહાર આવેલા સિંહે શિયાળને પૂછ્યું : ‘તું આવો દાવો કેવી રીતે કરી શકે ? તને ભગવાને મોકલ્યું છે એની સાબિતી શું ?’
શિયાળ પાસે જવાબ તૈયાર જ હતો. તેણે કહ્યું : ‘ચાલ મારી સાથે જંગલમાં ફર, તને ખબર પડી જશે. તું મારી પાછળ પાછળ ચાલજે અને જોજે કે તમામ પ્રાણીઓ મને કેટલું સન્માન આપે છે !’ આમ સિંહ શિયાળની પાછળ પાછળ ચાલવા લાગ્યો અને બન્યું એવું જ. નાનાં-મોટાં પ્રાણીઓ કાં તો ભાગી જતાં અથવા આ બંનેને રસ્તો કરી આપતાં. જોકે હકીકત તો એ હતી કે શિયાળની પાછળ ચાલી રહેલા સિંહને કારણે આ પ્રાણીઓ ડરીને આવું કરતાં હતાં. એ બધું જોઈને સિંહ પણ જાણે પ્રભાવિત થઈ ગયો, પરંતુ પોતાના આ ચતુરાઈભર્યા ઉપાયને કારણે શિયાળનો જીવ તો બચી ગયો.
બોધ : ગમે તેવી મુશ્કેલી આવી પડે છતાં શાંત રહીને તેના ઉપર યોગ્ય વિચાર કરવામાં આવે તો માર્ગ ચોક્ક્સ મળી રહે છે. ડરી જવાને બદલે બુદ્ધિપૂર્વક તર્કનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ગંભીર મુશ્કેલીમાં સપડાતા બચી જઈ શકીએ છીએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.