Saturday, June 22, 2013

આધુનીક ધર્મસ્થાનો !–વિરલ વ્યાસ

 હાલ મન્દીરોમાં તસ્કરી વધી ગઈ છે. તસ્કરી ક્યાં નથી ? કામ ચોરી, નામ ચોરી, દામ ચોરી… મન્દીરોમાં ચોરી થવી જ નહીં જોઈએ. ચોરી એવા લોકોને ત્યાં થવી જોઈએ જેઓ મન્દીરમાં ધન ઓકે છે–ઠાલવે છે. પરભુ–પ્રેમી તથા બાળકો ઝુપડાંમાં રહે તેનો અફસોસ નથી. ધનવાનો, સત્તાધીશો–રાજકારણીઓ કરચોરી કરી મન્દીરોમાં ધન નાંખે છે. ચોરો તે ઉશેટી જાય છે. કેટલાક તો મન્દીરોમાં ધન નાંખી ધન પરત મેળવે છે. દુકાનદારો કરચોરીથી ધનવાન બને છે. અને રંકો કરચોરી નથી કરતા; રંક તો બાપડા ભોગ બને છે. ત્યારે મન્દીરોમાં છપ્પન ભોગ ધરાવાય છે. પાષાણની પ્રતીમાને દહાડામાં ત્રણ વાર વાઘા બદલવા મળતા હોય છે અને જીવન્ત મનુષ્ય નીર્વસ્ત્ર છે કે સાવ ઓછાં વસ્ત્રોથી ચલાવી લે છે. મન્દીરો–દેરાસરોમાં દાન કરનારાઓનો; અન્ધ, અપંગ, રક્તપીત્તીયાને બે પૈસા આપતા જીવ નીકળી જાય છે. મન્દીરોમાં પાંચસો–હજાર ની:સંકોચ નાંખી દેનારા, કામવાળી પાસે નીસાસા નંખાવે છે. અલંકારીક ભાષામાં ભગવાનને ભજનો સંભળાવનારા ઉપરોક્ત દાતાઓ, નોકરને બીભત્સ ગાળો દેતા અચકાતા નથી. કાર સાફ કરનારની ‘પેટ માટેની વેઠ’, શેઠને નહીં સમજાય. ઓફીસોમાં કામ કરતા, પાંચ આંકડામાં કમાતા કર્મચારીઓને – સેવકોને, વર્ષે એક વાર બોણી આપતા અને જરુર પડયે બસો–પાંચસો ઉછીના આપતા જીવ નીકળી જાય. આ તમામ મહાનુભવો તીરુપત્તી અથવા વૈષ્ણોદેવી ખુબ એશથી ફરી આવે છે. રીલાયન્સ કે જે હજારો પરીવારને પોશે છે તેને મંદીરનો દરજ્જો નહીં મળી શકે ? સ્ટીવ જોબ્ઝનું ‘એપલ’ દેવળમાં નહીં આવી શકે ? તાતાનું કારનું કારખાનું દેરાસરજીની પંગતમાં નહીં બેસી શકે ? પાકીસ્તાની ઉર્દુ કવી અહમદ ફરાઝની પંક્તીઓનું સ્મરણ થાય છે; ‘મૈને યહ સોચકર તસબી તોડ દી હૈ ફરાઝ, ક્યાં ગીનકર માંગુ ઉસસે જો બેહીસાબ દેતા હૈ’. ઈશ્વર કે મગન કે છગન યા ગંગા કે ભાણકી યા કમળીને પગથીયે ચડી પ્રભુ પાસે ન જઈ શકાય ?
 અક્ષરાંકન: ગોવિંદ મારૂ                                              
પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.