Sunday, July 28, 2013

જે છોડે તે સુખી-નીલેશ મહેતા

એક સંત પુરુષ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજરે એક દ્રશ્ય પડ્યું અને થંભી ગયા. એક કૂતરું મોંમાં હાડકું લઈ ઝડપથી દોડી રહ્યું હતું અને પાછળ છ-સાત કૂતરાંઓ તેનો પીછો કરતા હતા. એના જ ભાઈઓ. થોડે જ દૂર બધાંય કૂતરાએ પેલા કૂતરાને ઘેરી લીધું. કોઇએ બચકું ભર્યું, કોઇએ પગ પકડ્યો, કોઇએ એને ધૂળ ચાટતું કર્યું. તે રીતે થોડી વારમાં કૂતરાના હાલ બેહાલ કરી મૂક્યા. અંતે તે કૂતરું થાક્યું. પોતાનો જીવ બચાવવા તેણે એ હાડકાને પડતું મૂક્યું. તે જ સમયે બધાં કૂતરાઓએ એને છોડી દીધું. હવે બીજા કોઇ કૂતરાએ હાડકું ઊંચકી લીધું.
સંતપુરુષ આશ્ચર્ય નજરે આ દ્રશ્ય જોઈ જ રહ્યા. હવે બાકીનાં બધાં કૂતરાં એમના જ સાથી પર ત્રાટકી પડ્યાં અને પહેલા કૂતરાની જેમ એના પણ હાલ-બેહાલ કરી નાખ્યા. આ બીજા કૂતરાએ પણ પહેલાની જેમ પોતાનો જીવ બચાવવા હાડકું છોડી દીધું. હાડકું ત્રીજા કૂતરાએ પકડ્યું અને ત્રીજાની પણ એ જ દશા થઈ. પહેલા બે કૂતરા એક ખૂણામાં ઊભા ઊભા ભસી રહ્યા હતા. હવે એમને ભય ન હતો. કારણ કે લડાયક કૂતરાઓની નજર હાડકા ઉપર જ હતી અને જેની પાસે તે હાડકું હોય તેના પર જ હુમલા કરતા અને તેમને હાલ-બેહાલ કરી મૂકતા.
સંતપુરુષ મનમાં વિચારે છે કે : જે પકડે છે તે દુ:ખી થાય છે, જે છોડે છે તે સુખી થાય છે. આ રસહીન અને શુષ્ક હાડકું પકડનારને પણ આટલું લોહી આપવુ પડે છે તો રસભર વસ્તુઓમાં આસક્ત રહેનારને કેટલું લોહી આપવું પડે ? કેટલા માર-દુ:ખ સહન કરવાં પડે. જેણે છોડ્યું તેને કોઇ છેડતું નથી. જે પકડે છે તેની પાછળ સૌ પડે છે માટે જ રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ સમજવો જરૂરી છે.
સૌજન્ય : રીડગુજરાતી

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.