Friday, September 20, 2013

અપરિચય– ગુણવંત શાહ

રેલવે લાઈન પર કામ ચાલતું હોય ત્યારે બે સ્ટેશનો વચ્ચેના ઉજ્જડ એકાંતમાં થોડાંક તગારાં અને તીકમ શાંતિના ગઢમાં ગાબડું પાડતાં રહે છે. ભીડને લીધે સડસડાટ વહી જતી ગાડી ધીમી પડે છે અને પછી સલૂકાઈથી રવાના થઈ જાય છે. કામ કરતા મજૂરો એ ગાડી દેખાય ત્યાં સુધી એક પ્રકારની વસ્તીનો અનુભવ કરે છે. ગાડી દેખાતી બંધ થાય એટલે તીકમ-પાવડા અને તગારાંનો સંસાર શરૂ થાય છે.
જીવનની ગાડીનો માર્ગ આવો નિશ્ચિત નથી હોતો. ઉડ્ડયન કદી પાટે પાટે નથી થતું. પુસ્તકિયું જ્ઞાન ટ્રેઈનની મુસાફરી જેવું છે. બે સ્ટેશનો વચ્ચે પાસ કઢાવીને રોજ અપ-ડાઉન કરનારો વર્ષો સુધી એમ કરે તોય ઝાઝું જોવા નથી પામતો. પાટાની આસપાસની મર્યાદિત સૃષ્ટિ જ એ જાણવા પામે છે. એનાં એ જ મકાનો, એ જ ખોલીઓ, એ જ થાંભલાઓ અને એ જ વૃક્ષો. પુસ્તકની લીટીઓ ગાડીના પાટાઓ જેવી સમાંતર હોય છે. એ પુસ્તકને હજાર વાર વાંચનારો પણ એની એ જ લીટીઓ પરથી પસાર થતો રહે છે.
આપણે કાયમ શબ્દો પર તરતા રહીએ છીએ. ક્યારેક નિઃશબ્દતામાં ડૂબકી મારવાનું થાય ત્યારે અકળામણ પણ થાય છે. માણસ માટે દુનિયા પર ક્યાંય કોઈ અભ્યારણ્ય બન્યું સાંભળ્યું નથી. સર્વ દિશાઓમાંથી સતત ભયનાં મોજાં છૂટતાં જ રહે છે, મૃત્યુનો ભય, શત્રુનો ભય, પ્રતિષ્ઠાનો ભય અને સ્વતંત્રતાનો ભય (fear of freedom). ભયમાંથી બંધન જન્મે છે. મૃત્યુના ભયમાંથી જીવનનું બંધન જન્મે છે. શત્રુના ભયમાંથી મિત્રત્વનું બંધન જન્મે છે. પ્રતિષ્ઠાના ભયમાંથી દંભ અને દર્પનાં અનેક બંધનો ફણગાતાં રહે છે. સ્વતંત્રતાના ભયમાંથી ગુલામીનું બંધન પેદા થાય છે અને ધીમે ધીમે જીવન જેટલું જ વહાલું લાગવા માંડે છે. નિશાળોમાં ગણવેશ ફરજિયાત હોય છે. સાધુઓને અનેક ભગવાં બંધનો હોય છે. સ્ત્રીઓને અમુક જ પોશાક શોભે અને પુરુષોને અમુક જ શોભે. વળી અમુક ઉંમરે જે પોશાક શોભે તે બીજી ઉંમરે ન પણ શોભે. ડિનરપાર્ટીમાં અમુક પોશાક જોઈએ અને બેસણામાં જવાનું હોય ત્યારે જીવનના તમામ રંગોને ઓહિયાં કરી જનારો સફેદ રંગ પસંદગી પામે. બંધનો આપણને સીમિત બનાવી મૂકે છે. નિઃસીમના પરિચયમાં આવવાની પ્રત્યેક તક આ રીતે જતી રહે છે. સુરતનું ફરસાણ, વડોદરાનો ચેવડો, ખંભાતનું હલવાસન, ભરૂચની સૂતરફેણી, ભાવનગરનાં ગાંઠિયાં, મથુરાના પેંડા, આગ્રાના પેઠા અને મુંબઈનો આઈસ હલવો વખણાય છે. આ સાચું હોવા છતાં જે તે સ્ટેશનથી આ વાનગીઓ લઈએ ત્યારે એમાં ઝાઝો દમ નથી હોતો. આ વાનગીઓની મઝા માણવા માટે તે શહેરની જૂની અને જાણીતી દુકાન ખોળવી પડે. પુસ્તકિયું જ્ઞાન પ્લૅટફૉર્મ પરથી ખરીદેલી વાનગી જેવું બીજી કે ત્રીજી કક્ષાનું હોય છે.
ઘણા લોકો ઈંગ્લૅન્ડ જઈ આવે છે. એમને મન તો ઈંગ્લૅન્ડ એટલે જાણે લંડન. એક મિત્ર ત્રણ વખત ફ્રાન્સ જઈ આવ્યો પરંતુ એણે કદી પેરિસની બહાર પગ નથી મૂક્યો. ઈટલી એટલે બસ રોમ ! કોઈ દિલ્હી કે મુંબઈ જ જોઈને ભારત વિષે અનુમાનો કરવા માંડે તે કેટલું વિચિત્ર છે ! સુરતનો પોંક ખાધા વગર, મથુરાના પંડાઓની હેરાનગતિ માણ્યા વગર, ઋષિકેશ આગળ ખળખળ વહેતી ગંગામાં જીવન ઝબોળ્યા વગર, કેરાલાનો વૃક્ષવૈભવ નીરખ્યા વગર, ઉત્તર પ્રદેશ (કે પ્રશ્નપ્રદેશ ?)ની અરાજકતા, બિહારની ક્રૂર અવ્યવસ્થા તથા અમદાવાદનો સાબરમતી આશ્રમ જોયા વગર ‘ભારત જોયું’ એમ કહેવું એ પાકશાસ્ત્ર વાંચીને ઓડકાર ખાવા બરાબર છે. પુસ્તક વાંચીને ઘણા યોગ શીખે છે. પુસ્તક વાંચીને કેટલાક હોમિયોપેથી, રેડિયો-રિપેરિંગ, વક્તૃત્વકળા, મિત્રો બનાવવાની કળા, સુખી થવાની કળા અને જ્યોતિષવિદ્યા શીખે છે. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તો કાગળ પર પણ ચાસ પાડે છે. કાગળ પર જ વાવણી ને કાગળ પર જ કાપણી. પુસ્તક પરથી બધું જ શીખી શકાય એવી શ્રદ્ધા લગભગ વહેમની કક્ષાએ પહોંચી છે. આઈનસ્ટાઈન કાગળ પરથી મળતી માહિતીને ‘સિન્થેટિક’ જ્ઞાન કહેતા. ‘તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી’ – જેવી પંક્તિઓ તલત મહેમૂદને કંઠે સાંભળ્યા પછી પણ આપણી શ્રદ્ધા તો એલચીને બદલે એલચીના એસેન્સ પર અને ગુલાબને બદલે ગુલાબજળ પર જ હોય છે.
તીકમ, પાવડા અને તગારાંનો સંસાર ચાલતો જ રહે છે. આપણો અને નદીનો પરિચય હવે પુલ પરથી જ થતો રહે છે. નદીમાં રેલ આવે તોય પુલ પરના રસ્તાથી એ થોડી નીચે જ રહી જાય છે. આમ નદી અને આપણી વચ્ચેનું અંતર તો કાયમ જ રહે છે. લંડનમાં વેસ્ટમિન્સ્ટર આગળ થેમ્સ નદીની નીચેથી ભૂગર્ભ રેલવેમાં પસાર થતો મુસાફર પણ થેમ્સથી તો અતડો ને અતડો જ રહે છે ! ઘણાંખરાં શહેરોને આપણે માત્ર પ્લૅટફૉર્મ પરથી જ ઓળખતાં રહીએ છીએ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.