Wednesday, October 23, 2013

વિચાર-સંચય – જે. કૃષ્ણમૂર્તિ ભાગ 1/2


[ શ્રી બબાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર.]
[1] તમે સતત બદલાઓ છો, માટે તમારી જાતને સતત જોયા કરો. શાંત મન જાતને બરાબર જોઈ શકે છે.
[2] તમારી અંદર સમસ્ત વિશ્વ રહેલું છે. જો તમને ‘જોતાં’ અને ‘શીખતાં’ આવડે તો દ્વાર ત્યાં જ છે અને ચાવી તમારા હાથમાં છે. તમારી પોતાની જાત સિવાય આ પૃથ્વી ઉપર બીજું એવું કોઈ નથી કે જે તમને એ ચાવી આપી શકે કે દ્વાર ખોલી આપી શકે….
[3] આપણે બ્રાહ્ય રીતે ખૂબ નમ્ર, સંસ્કારી છીએ, પણ જેનાથી મોટા ભાગના લોકો અજ્ઞાન છે, તેવા મનના ઊંડાણમાં વિશાળ અને જટિલ સંઘર્ષ, દુઃખ અને ભયનો મોટો વારસો પડેલો છે…. આપણે મનુષ્યો લાખ્ખો વર્ષોથી જેવા છીએ તેવા જ છીએ – લોભી, ઈર્ષાળુ, આક્રમક, ચિંતાતુર અને હતાશ, પણ સાથે સાથે આપણા જીવનમાં અવારનવાર આનંદ અને પ્રેમના ચમકારા પણ આવી જાય છે…. આપણે ધિક્કાર, ભય અને નમ્રતાનંે વિચિત્ર મિશ્રણ છીએ. આપણે હિંસા અને શાંતિ, બંને છીએ, બળદગાડાથી જેટ વિમાન સુધીની આપણે બાહ્ય પ્રગતિ સાધી છે, પણ મનોભૂમિકાએ મનુષ્ય જરાયે બદલાતો નથી. આપણી અંદર જ માનવજાતિનો આખો ઈતિહાસ લખાયેલો પડ્યો છે.
[4] તમે જીવન કરતાં મૃત્યુનો વિચાર વધુ કરો છો. જીવન દરમ્યાન શું થાય છે તેના કરતાં મરણ પછી શું થશે એમાં તમને વધારે રસ છે. જીવનમાં જેને ખરેખર રસ છે તેઓ માટે મૃત્યુ પ્રશ્નરૂપ નથી હોતું.

[5] પેલા પુષ્પ સામે તમે કેમ જોતા નથી ? આપણામાંથી મોટા ભાગના લોકોને કુદરતનું કોઈ જ મહત્વ નથી… આપણે આપણી ચિંતાઓ, આપણી આશાઓ, ઈચ્છાઓ અને અનુભવોમાં એટલા બધા કેન્દ્રિત થયેલા છીએ જેથી આપણે આપણી વિચારણાના પાંજરામાં પુરાઈ ગયા છીએ અને તેથી તેની બહાર કંઈ જ જોઈ શકતા નથી. તેવું ન કરશો. બધું જ જુઓ અને બધું જોવાથી તમે તમારું પાંજરું જોઈ શકશો.
[6] જોવા માટે આંખ જોઈએ. સાંભળવા માટે કાન જોઈએ અહંકારે જો તે બંધ કર્યા હોય તો, એંસી વર્ષ સતસંગમાં પડ્યા રહો તોપણ કંઈ થશે નહિ. શીખવાની વિનમ્રતા જોઈએ અને શીખ્યા હોય તો જીવવાની વીરતા જોઈએ.
[7] ધ્યાન અંગેનાં પુસ્તકો વાંચીને મૂર્ખ બનશો નહિ, તમે તમારું જીવન-પુસ્તક વાંચો…. ધ્યાન એ ‘હું’રૂપી કેન્દ્રની સમજ છે અને તેથી કેન્દ્રની પેલે પાર જવાની ક્રિયા છે. ધ્યાન એટલે ‘હું’નો વિલય.
[8] યંત્રની માફક એક ને એક કાર્ય ન કરતાં તમારી માન્યતાઓ અને તમારા અનુભવો પ્રત્યે નવી રીતે જોવું જોઈએ. જો આમ કરશો તો તમારા મનમાં તાજી હવા પ્રવેશશે. એનો અર્થ એ થયો કે તમે અસલામત બનવા જોઈએ. તો જ તમે સત્યને, પ્રભુને પામી શકો.
[9] પોતાની જાતને સમજ્યા વિના ઈશ્વરને શોધી શકાય જ નહિ. તમારો ઈશ્વર પણ તમારી કલ્પનાઓનો બનેલો છે અને એથી તમે ઈશ્વરના નામે જ લડો છો અને પાયમાલ થાઓ છો. ‘ઈશ્વર’ શબ્દ ઈશ્વર નથી, મૂર્તિ ઈશ્વર નથી, તમે ઈશ્વરને ભજો છો, પણ તમારું જીવન ઈશ્વરી નથી. કાળની મર્યાદામાં જે છે તે સ્મૃતિ છે, જ્યારે ઈશ્વર કાળથી પર છે. માટે મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.