Friday, October 25, 2013

વિચાર-સંચય – જે. કૃષ્ણમૂર્તિ ભાગ 2/2


[ શ્રી બબાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર.]
[10] જો તમારા હૃદયમાં પ્રેમ હશે તો તમે જેમની પાસે કંઈ નથી તેમના તરફ પણ માન દર્શાવશો અને જેમની પાસે બધું જ છે તેમનાથી તમે ડરશો નહિ કે જેમની પાસે નથી તેમની અવગણના કરશો નહિ. બદલાની આશામાં આપેલું માન એ બીકનું પરિણામ છે. પ્રેમમાં ડર હોતો નથી.
[11] લોકો તમારા માટે શું ધારે છે અથવા તેઓ તમને કેવી રીતે જુએ છે એના ઉપર આધાર રાખ્યા વિના શું તમારું આચરણ અંદરથી જ પ્રગટી શકે ? તે અઘરું છે, કારણ કે પોતે અંદરથી કેવો છે તે મનુષ્ય જાણતો નથી. વળી અંદર તો સતત પરિવર્તન ચાલ્યા કરે છે.
[12] જ્યાં સ્નેહ, માયાળુતા અને અન્યનો વિચાર હોય છે ત્યાં નમ્રતા, સભ્યતા અને અન્યની દરકાર હોય છે. એનો અર્થ એ છે કે તે માણસ ખરેખર પોતાનો વિચાર ઓછો ને ઓછો કરે છે. આ એક અત્યંત અઘરું કામ છે. જ્યારે મનુષ્ય પોતાની ચિંતા નથી કરતો ત્યારે ખરેખર તે મુક્ત માનવી છે. પછી તે તાજા મનથી, સ્નેહની ઉત્કૃષ્ટ ભાવના સાથે આકાશને, પર્વતોને, ટેકરીઓને, જળાશયોને, પક્ષીઓને અને પુષ્પોને નિહાળી શકે છે.
[13] તમે ધર્મનો શો અર્થ કરો છો ? માન્યતાઓ, વિધિઓ, દુરાગ્રહો, ઘણાબધા વહેમો, પૂજા, શબ્દોનું પુનરાવર્તન, અસ્પષ્ટ, નિરાશામય ઈચ્છાઓ, કોઈ પુસ્તકોનું વાચન, ગુરુનું શરણ, પ્રસંગોપાત્ત મંદિરગમન વગેરેને મોટા ભાગના લોકો ધર્મ કહે છે. આ શું ધર્મ છે ? ધર્મ શું કોઈ રિવાજ, ટેવ, પ્રણાલિકા છે ? ધર્મ અવશ્ય એ બધાથી વિશેષ છે. ધર્મ એટલે સત્યની શોધ. તેને સંગઠિત શ્રદ્ધા, મંદિરો, દુરાગ્રહો કે વિધિઓ સાથે કોઈ જ સંબંધ નથી. આમ છતાં આપણી વિચારણા, આપણા વ્યક્તિત્વના તાણાવાણા, શ્રદ્ધાઓ, વહેમો વગેરેથી જકડાયેલાં છે. આથી દેખીતી રીતે જ આધુનિક માનવી ધાર્મિક નથી તેથી તેનો સમાજ પવિત્ર નથી, સમતોલ નથી.
[14] ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા…. ગુણોને પણ સીમા હોય છે. તેમને જીવનમાં યથાયોગ્ય વિકસાવવા તે ધર્મસાધના છે. જેમાં વધુ ને વધુ ધર્મો વિકસ્યા હોય તેને ધાર્મિક પુરુષ કહેવાય…. જે ગ્રંથો આવા ગુણવિકાસને પ્રોત્સાહિત કરતા હોય તે શાસ્ત્ર કહેવાય. જે આવા ગુણવિકાસ માટે પ્રજામાં પ્રયત્ન કરતા હોય તે ધર્મપ્રચારક કહેવાય. આવા પ્રચારકોને એટલે જ સંત કહેવાય, તેમનાથી પ્રજા સદગુણી બનતી હોય છે.
[15] નાણું, મોભો, કીર્તિ, સત્તા વગેરે સમાજનાં જૂનાં મૂલ્યો છે, જેનો સ્વીકાર બાળકો પાસે શિક્ષણ કરાવીને તેનું સાતત્ય રાખે છે. સમાજના કહેવાતા ગાંડપણભર્યા માળખામાં ઈચ્છએ અને અનિચ્છાએ બંધબેસતા થવા માટેનું શિક્ષણ તેઓને અપાય છે. આથી શિક્ષણ લેનાર અને સમાજ દુઃખમય ભૂતકાળને ચાલુ રાખે છે. માબાપો બાળકો સાથે રમકડાંના જેવો વ્યવહાર રાખે છે અને પોતાના સંતોષ તથા આનંદ ખાતર તેમનો ઉપયોગ કરે છે. ખરી કેળવણીનો મતલબ એ છે કે માનવમન માત્ર ગણિત, ભૂગોળ અને ઈતિહાસમાં નિપુણતા મેળવી લે, એટલું જ નહિ પણ તે ક્યારેય પણ, કોઈ પણ પરિસ્થિતિમાં આ સમાજની ધારામાં ખેંચાઈ ન જાય તે છે. કારણ કે આ ધારા જેને આપણે ‘જીવન’ કહીએ છીએ તે ખૂબ જ ભષ્ટ, અનૈતિક, હિંસક અને લોભી છે.
[16] તમે તમારી એષણાઓને, તમારાં દુઃખોને, પ્રશ્નોને, ઈર્ષાને ખીલવા દો. જેમ કળી મોટી થાય છે, ખીલે છે, પૂર્ણ કળાએ વિકસે છે, કરમાય છે અને પછી ખરી પડે છે. તેમ તેમ તમારા પ્રશ્નોને પણ પૂર્ણ રીતે ખીલવા દો. ખુલ્લા થવા દો. તેને દબાવો નહિ તેમ જ તેનાથી ભાગો નહિ, પણ હિંમતપૂર્વક તેની સામે ઊભા રહો, અને તેને બરાબર નિહાળો. ભયને, ઈર્ષાને, એ બધાને આવવા દો. તેમને સ્વાતંત્ર્ય આપો, તો તે પોતાના બધા રંગો દેખાડશે, તેની પાછળ શું છે તે દર્શાવશે, અને તે ખીલશે અને તે પછી મૃત્યુ પણ પામશે. તેના ખીલવાથી તેની જટિલતા, તેનાં મૂળિયાં દેખાશે. માટે તેને દબાવો નહિ. દબાવશો તો તેનું રહસ્ય સંતાયેલું જ રહેશે. આમ જાગૃતિ દરેક ઘટના, વ્યક્તિ, વર્તન, વિચાર વસ્તુનું રહસ્ય પૂર્ણ રીતે છતું કરે છે.
[17] સાચો પ્રશ્ન પૂછવો એ જવાબ મેળવવા કરતાં ઘણી વધારે મહત્વની બાબત છે. જવાબ સમસ્યાની ક્યાંય બહાર નહીં પણ સમસ્યામાં જ હોય છે.
[18] મન જ્યારે પોતાને અને પોતાનાં કાર્યોને, પોતાની રીતોને, હેતુઓને, પોતાની શોધને, પોતાની બાહ્ય માગણીઓને જ નહિ પણ અંદરના ઊંડા વેગોને અને આશયોને સમજે ત્યારે જ મનની ક્રિયાનો અંત આવે, મન શાંત થાય. સૌંદર્ય એટલે સંવેદનશીલતા. શરીરની સંવેદનશીલતા એટલે યોગ્ય ખોરાક, યોગ્ય રીતનું જીવન. ત્યારે મન અનિવાર્ય રીતે તથા કુદરતી રીતે, અજાણતાં શાંત બને છે. તમે મનને શાંત ન કરી શકો. કેમ કે તમે તોફાની છો, તમે પોતે જ વ્યથિત, આતુર અટવાયેલા છો, તેથી તમે મનને કઈ રીતે શાંત કરી શકો ? માણસ જંગલમાં ભૂલો પડ્યો હોય ત્યારે તે પહેલાં શું કરે છે ? તે ઊભો રહે છે અને આસપાસ જુએ છે. તેવી જ રીતે તમે આંતરિક રીતે પૂરેપૂરા થંભી જશો, તો તમારું મન અત્યંત શાંત અને સ્પષ્ટ બની જશે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.